Category: Blog

  • વર્લ્ડ ક્લબફૂટ ડે નિમિત્તે અસરગ્રસ્ત બાળકોના શુભ સ્વાસ્થ્ય માટે થયું ભગવદ્ ગીતા પઠન

    વર્લ્ડ ક્લબફૂટ ડે નિમિત્તે અસરગ્રસ્ત બાળકોના શુભ સ્વાસ્થ્ય માટે થયું ભગવદ્ ગીતા પઠન

    “અર્જુન ઉવાચ: નાનકડા પગલાં ભરે હરણફાળ” પુસ્તકના મુખપૃષ્ઠનું લોકાર્પણ

    સમગ્ર વિશ્વમાં 3 જૂન વિશ્વ ક્લબફૂટ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ હેલ્થ એ અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ નામના વૈશ્વિક જાગૃતી અભિયાનની સાતમી વર્ષગાંઠની અનેરી ઉજવણી કરી. એ સાથે જ ક્લબફૂટ વોરિયર તરીકે જાણીતા બનેલા વિશ્વના યંગેસ્ટ સિંગર અને એક્ટર ૭ વર્ષીય પર્વ ઠક્કર ની સંઘર્ષથી સફળતા સુધીની યાત્રાને આવરી લેતા ડૉ. કૃપેશ ઠક્કર ના આગામી પુસ્તક “અર્જુન ઉવાચ: નાનકડા પગલાં ભરે હરણફાળ” ના મુખપૃષ્ઠનું ડૉ. શશીકાંત ઠક્કર, શ્રીમતી નયનાબેન ઠક્કર તેમજ પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

    ARJUN UVACHA: NANAKDA PAGLA BHARE HARANFAD BOOK COVER

    આ કાર્યક્રમની શરૂઆતમાં કૃપ એકેડેમીના બાળ કલાકારોએ ‘મંગલમય સબ કર દેના’ પ્રાર્થના રજૂ કરી. ત્યારબાદ સૌ લોકોએ એકત્ર થઈને આ બીમારીથી અસરગ્રસ્ત બાળકોના શુભ સ્વાસ્થ્ય માટે ગૂંજે ગીતાનું પઠન કરી ઉત્સવ ઉજવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત બાળકો અને માતાઓનું કાઉન્સેલિંગ કરતાં ડૉ. પૂજા ઠક્કર એ જણાવ્યું કે “છેલ્લા સાત વર્ષથી ચાલી રહેલા આ વૈશ્વિક કાર્યમાં વાચા ઠક્કર અમેરિકાની ક્લબફૂટ અવેરનેસ ગુડવિલ એમ્બેસેડર તરીકે કાર્યરત છે ત્યારે આ વર્ષથી અમેરિકાની ટ્રાએન્ગલ ક્રિકેટ લીગની પાંચ ટીમના ખેલાડીઓ પણ તેની સાથે જોડાયા છે. તેઓ માર્ચ મહિનાથી શરુ થયેલ આ લીગની રમત દરમિયાન ગ્લોબલ કલબફૂટ અવેરનેસ પર્વ ના લોગો વાળા ટીશર્ટ સાથે મેચ રમી લોક જાગૃતિમાં યોગદાન આપે છે. તેઓ આવનારા આઠ મહિના સુધી આ અભિયાનમાં કાર્યરત રહેશે.”

    તો સારવારના ભાગ રૂપે થતી મ્યુઝિક થેરાપી વિશે વાત કરતા મ્યુઝિક થેરાપિસ્ટ ડૉ. કૃપેશ એ કહ્યું કે “સંગીત સાથે સારવાર અને ગીતા સાથે લોક જાગૃતિના આ અભિયાનના ગ્લોબલ એમ્બેસેડર તરીકે કાર્યરત બાળ પર્વ ને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા સ્વાસ્થ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ એ પ્રશસ્તિપત્ર આપી સરાહના આપી છે. જે કચ્છ માટે ગૌરવની વાત છે.” પુસ્તક વિષે વાત કરતા ટ્રસ્ટી ડૉ. શશીકાંત ઠક્કર એ ઉમેર્યું કે, “કોઈ બાળકના જીવન ચરિત્ર પર પુસ્તક લખાયું હોય એવી આ પ્રથમ ઘટના છે. આ પુસ્તક અન્ય બાળકો તેમજ યુવાનો માટે પ્રેરણારૂપ બની રહેશે તેમજ પર્વની આ પ્રેરણાત્મક યાત્રા ક્લબફૂટ વિશેની જાગૃતિ ફેલાવવામાં મોટું યોગદાન આપશે.”

    CLUBFOOT AWARENESS CAMPAIGN APPRECIATED BY DR. MOHAN PATEL

    અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ક્લબફૂટ જાગૃતિ માટે આ ફેમિલી બેન્ડના ગીતો અને આલ્બમ વૈશ્વિક સ્તરે લોન્ચ થયા છે. તો હાલમાં જ ક્લબફૂટ અવેરનેસ મંથ અંતર્ગત કચ્છ યુનિવર્સિટીના કુલપતિની મુલાકાતે ગયેલ ડૉ. કૃપેશ ના આ કાર્યને ડૉ. મોહનભાઈ પટેલ એ વધાવી લીધું. આ કાર્યક્રમના આયોજનમાં જી.એલ.સી.સી. અંજારના કાર્યકરોએ જહેમત ઉઠાવી.

  • ‘ચલો રામ બને’ ના ભાવથી બાળકોએ કરી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની અનેરી ઉજવણી

    ‘ચલો રામ બને’ ના ભાવથી બાળકોએ કરી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની અનેરી ઉજવણી

    વિશ્વભરમાં જ્યારે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની અનેકવિધ રીતે ઉજવણી થઈ ત્યારે હાલમાં અંજારના ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા ‘ચલો રામ બને’ કાર્યક્રમ ઉજવવામાં આવ્યું. જેમાં સંસ્થામાં તાલીમ લઈ રહેલા બાળકોએ પ્રાર્થના અને રામ ભજન પ્રસ્તુત કરી પ્રસંગની શરૂઆત કરી ત્યાર બાદ સૌ બાળ રામભક્તોને હસ્તે લેખક ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ‘અર્જુન ઉવાચઃ ચલો રામ બને’ ના મુખપૃષ્ઠનું લોકર્પણ થયું. વ્યક્તિત્વ અને ચારિત્ર્ય ઘડતર થકી ‘રામ’ બનવાની આ પુસ્તકની વિચારધારાને પ્રદર્શિત કરતાં બાળકોએ  રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી પ્રભુ રામના પ્રસંગોને જીવંત કર્યા. બાળકોમાં રામના ગુણો અને સમર્પણને સૌ આમંત્રિત મહેમાનોએ ભાવવિભોર થઈ આવકાર્યા હતાં.

    આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રી ડૉ. શશીકાંત ઠક્કરએ કહ્યું કે “સમગ્ર ભારતવર્ષ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે આજની પેઢી રામ બનીને સૌને પ્રેરણા આપતી હોય તે ગૌરવ લેવા જેવી વાત છે. આ બાળકોએ રામ બનીને કળિયુગમાં પણ સતયુગના દર્શન કરાવ્યા છે.” તો પુસ્તક વિશે વાત કરતાં લેખક ડૉ. કૃપેશએ જણાવ્યું કે “અર્જુન ઉવાચઃ ચલો રામ બને” પુસ્તકમાં ત્રેતાયુગ અને કળિયુગના સમન્વય સાથે રામ બનવાના જે આદર્શો રજૂ થયા છે એનું પ્રતિબિંબ આ કાર્યક્રમમાં જોવા મળ્યું. આ પુસ્તકમાં ભગવાન રામનું વ્યક્તિત્વ અને જીવનદર્શનને સરળ શબ્દોમાં વ્યક્ત કરવામાં આવ્યું છે જે બાળકો, યુવાનો તેમજ દરેક વયના વાચકો માટે પ્રેરક બની રહેશે.”

    અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યક્રમના અંતે માતાઓએ રામચરિત માનસની ચોપાઈ સાથે સુંદર નૃત્ય રજૂ કરી કાર્યક્રમને પૂર્ણાહુતિ આપી હતી.