Category: Music

  • શહીદ દિવસે પર્વ ફ્યૂઝન બેન્ડ એ શહીદોને સમર્પિત કર્યું ‘હૈ નમન, શહીદો કો સલામ’ ગીત

    શહીદ દિવસે પર્વ ફ્યૂઝન બેન્ડ એ શહીદોને સમર્પિત કર્યું ‘હૈ નમન, શહીદો કો સલામ’ ગીત

    અંજાર-કચ્છના ડૉ. કૃપેશ ઠક્કર અને બાળ કલાકારો વાચા ઠક્કર અને પર્વ ઠક્કર એ માતૃભૂમિ માટે કુરબાન થયેલા શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ને સ્વરાંજલી આપતા ‘હૈ નમન, શહીદો કો સલામ’ ગીતનું નિર્માણ કર્યું. જે ગિવ વાચા ફાઉન્ડેશનના હેરિટેજ પર્વ અંતર્ગત કૃપ મ્યુઝિક દ્વારા વૈશ્વિક સ્તરે લોન્ચ થયું.

    શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં પર્વ ફ્યૂઝન બેન્ડના આ ગીતમાં ડૉ. કૃપેશના હ્રદયસ્પર્શી શબ્દો, મોર્ડન સંગીત અને દિગ્દર્શન સાથે વાચાનો મધુર અવાજ અને બંને બાળકોનો શ્રેષ્ઠ અભિનય જોવા મળે છે. આ ગીતનું ફિલ્માંકન કચ્છની ધરોહર એવા ભૂજિયા ડુંગર પર થયેલું છે. ઉપરાંત આદિપુરની તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ પણ શ્રદ્ધાંજલિ આપી ભાગ લીધો હતો. આ ગીત માટે આ પરિવારને ગુજરાત અને ભારતની નામાંકિત સંસ્થાઓએ પુરસ્કાર અને પ્રોત્સાહન પણ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગીતને યુટ્યુબ પર પંદર લાખથી વધુ લોકો નિહાળી ચૂક્યા છે. તો વિવિધ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર દસ લાખથી વધુ લોકોએ માણ્યું છે. કચ્છી કલાકારોના આ ગીતને વ્યાપક પ્રમાણમાં લોકચાહના મળતા, તેનું ગુજરાતી ગીત ‘શહીદો ને સલામ’ પણ વિશ્વસ્તરે લોન્ચ કરવામાં આવ્યું.

    ગીત વિષે વાત કરતા ડૉ. કૃપેશ એ જણાવ્યું કે “આવનારી પેઢી આઝાદી માટે શહીદોએ આપેલ બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ના ચૂકે એ હેતુથી અમે આ ગીત વિશ્વભરમાં વસતા ભારતીયો સુધી લઈ જવા પ્રયત્ન કર્યો છે”.

  • કચ્છના આંગણે યોજાયું ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લિટરેચર ફેસ્ટિવલ’

    કચ્છના આંગણે યોજાયું ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લિટરેચર ફેસ્ટિવલ’

    વૈશ્વિક સાહિત્ય પર્વ રૂપે જ્યારે કૃપ લીટરેચર ફેસ્ટિવલ કચ્છના શહેરોમાં ઉજવાઇ રહ્યું છે, ત્યારે હાલમાં ગિવ વાચા સેન્ટર અંજાર ખાતે આ પર્વ અંતર્ગત ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લીટરેચર ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન થયું. જેમાં વિવિધ શાળાઓના આચાર્યો અને સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા. આ ઉત્સવમાં બસો થી પણ વધુ બાળકો વાલીઓ સહિત જોડાયા અને ‘શબ્દવંદના’ સાથે સાત ભાષાઓની ગાયન, વાદન અને નૃત્યના મધ્યમથી વંદના કરી.

    કાર્યક્રમની શરૂઆતમાં ગૂંજે ગીતા કેન્દ્ર, શાળા નંબર ૧૪ તથા ૧૭, અને શ્રી સહયોગ સરસ્વતી વિદ્યામંદિરના બાળકો તેમજ અહલ્યા કન્યા છાત્રાલય અને શાખાની બાળાઓ એ ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષાની પ્રાર્થના, દેશભક્તિ ગીત અને ગૂંજે ગીતા ની રજૂઆત કરી તો નાટ્યાલય સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ ગાંધીધામ અને અંજારની કન્યાઓએ સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યા. આ કાર્યક્રમમાં સાહિત્ય ક્ષેત્રે પદાર્પણ કરતાં બાળ લેખકો ૬ વર્ષીય પર્વ ઠક્કર ના ‘સનાતન એક્ટિવિટી બુક પાર્ટ ૧’ પુસ્તક તો ૧૧ વર્ષીય વાચા ઠક્કરના ‘ગીતા વર્ડ સર્ચ – ઇંડિયન કલ્ચર ફોર કિડ્સ’ પુસ્તકનું આમંત્રિત મહાનુભાવોને હસ્તે લોકાર્પણ થયું. ત્યાર બાદ સૌ બાળકો માટે બાળ લેખિકા વાચા ઠક્કર ના ‘સનાતન વર્ડ સર્ચ’ પુસ્તક આધારિત કોયડાઓની પરીક્ષા યોજાઇ હતી.

    આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર મદનકુમાર અંજારિયા એ કહ્યું કે “આ ગુજરાત બાળ સાહિત્ય પર્વ જ્યારે કચ્છના આંગણે ઉજવાઇ રહ્યું છે તે સમગ્ર કચ્છ માટે ગર્વની વાત છે, અને આ બંને બાળ સાહિત્યકારો એ લખેલા પુસ્તકો અન્ય બાળકોને બાળ સાહિત્ય તરફ વાળવામાં મહત્વનો યોગદાન આપશે. આ પુસ્તકો પર વિવિધ શાળાઓમાં પરીક્ષાઓ યોજવી જોઈએ.” આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી ડૉ. કૃપેશ નયના શશીકાંત એ કહ્યું કે “કચ્છમાં સૌ પ્રથમ વખત બાળ સાહિત્ય પર્વનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વિવિધ શાળાઓ અને સંસ્થાઓએ ઉત્સાહભેર જોડાઈને બાળકોને ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના જતન માટે પ્રેરિત કરવાનું જે કર્તવ્ય પૂરું પાળ્યું છે તે સરાહનીય છે.”

    તો ફેસ્ટિવલ ડાયરેકટર ડૉ. પૂજા ઠક્કર એ ઉમેર્યું કે “આ ઉત્સવ કચ્છથી શરૂ થઈ હવે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ૭ ભાષાઓની મહેક ફેલાવશે અને સાહિત્ય થકી બાળકોના સર્વાંગી વિકાસ માટે સૌ સાથે મળીને આગેકૂચ કરીશું.” અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં આયોજક સંસ્થાઓ ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના અગ્રણીઓએ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકો અને સમ્મિલિત શાળાઓ અને સંસ્થાઓને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે ગોવિંદભાઈ દનીચા, વિરાજબેન દેસાઇ, તરલિકાબેન દેસાઇ, એન કે ધોરિયા, જિગ્નેશભાઈ અબોટી, સુમા મોહન, સંગીતાબેન ચાવડા, બાગેશ્રી ચંદે, તથા અમૃતભાઈ સ્પંદન એ ઉપસ્થિત રહી સૌ બાળકોને પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમની વ્યવસ્થા મેહુલભાઈ, કલરવભાઈ, વૈશાલીબેન, અંજલીબેન, કૈલાશબેન તથા રશ્મિબેનએ સંભાળી હતી.

  • વિશ્વના સૌથી મોટા કચ્છી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ‘કચ્છી મિજાજ’ની થઈ જાહેરાત

    વિશ્વના સૌથી મોટા કચ્છી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ‘કચ્છી મિજાજ’ની થઈ જાહેરાત

    ‘પાંજો મિજાજ, કચ્છી મિજાજ’ ના ભાવ સાથે કચ્છના વરિષ્ઠ સાહિત્યકારો જોડાયા.

    ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા સંચાલિત ગ્લોબલ લીટરેચર એન્ડ કલ્ચરલ ક્લબએ કચ્છના સૌથી મોટા કચ્છી લીટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટીવલ ‘કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય પર્વ’ ના આયોજન કરવાની જાહેરાત કરી. જેમાં કચ્છના જાણીતા સાહિત્યકારો, કલાકારો અને યુવા સર્જકો તેમજ વિવિધ સંસ્થાઓ જોડાઈ કચ્છની ધરા અને કચ્છી મિજાજને સાહિત્ય અને કલા થકી વૈશ્વીક સ્તરે ઉજાગર કરશે.

    હાલમાં જ્યારે આ સંસ્થાઓએ કચ્છી સાહિત્યને વિશ્વફલક પર રોશન કરવાનો સંકલ્પ લીધો છે ત્યારે આ ભવ્ય કાર્યક્રમના આયોજન માટેની પ્રથમ બેઠકનું ભુજ ખાતે આયોજન થયું જેમાં કચ્છના વરિષ્ઠ સાહિત્યકારો હાજર રહ્યા અને ફેસ્ટીવલ ડાયરેક્ટર ડૉ. કૃપેશ ઠક્કર એ આ પર્વ માટે આપેલા ‘પાંજો મિજાજ, કચ્છી મિજાજ’ સૂત્રને હ્રદયસ્થ કરી સાહિત્ય, સંગીત, કલા અને શિક્ષણ થકી પોતાનું યોગદાન આપવા ઉત્સાહ દાખવ્યો. ડો. કૃપેશ અને ડૉ. પૂજા ઠક્કરના આ અભિયાનને કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડો. કાંતિ ગોર, વરિષ્ઠ સાહિત્યકાર શ્રી મદનકુમાર અંજારિયા, જાણીતા સાહિત્યકાર શ્રી કૃષ્ણકાંત ભાટિયા અને ડૉ. રમેશ ભટ્ટ તથા સાહિત્યક્ષેત્રે સક્રિય કચ્છના નારીરત્નો એવા શ્રીમતી રમિલાબેન મહેતા, પુષ્પાબેન વૈદ્ય અને અરુણાબેન ઠક્કર એ ઉષ્માભેર આવકાર્યું.

    આ પ્રસંગે ડૉ. કૃપેશ એ કહ્યું કે “આ લીટરેચરએન્ડ મ્યુઝિક ફેસ્ટીવલમાં સાહિત્યકારો અને કલાકારોને પોતાના સાહિત્યને અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી વૈશ્વિક સ્તરે ઉજાગર કરવાની દિશા મળી રહે એવો પ્રયાસ રહેશે. આ ભગીરથ કાર્યમાં જોડાવા સૌ કચ્છી સાહિત્યકારો, કલાકારો, યુવા સર્જકો, શાળા-કોલેજો અને સંસ્થાઓને આમંત્રણ આપું છું. આ સાથે જ વિશ્વના વિવિધ દેશોમાં વસતાં કચ્છી લોકોને પણ આ કાર્યમાં સાંકળી લેવામાં આવ્યા છે જે ‘પાંજો મિજાજ, કચ્છી મિજાજ’ ના સૂત્રને સાર્થક કરશે.”

    આ સંદર્ભે વાત કરતાં ડો. કાંતિ ગોર એ કહ્યું કે “આજના ડિજિટલ યુગમાં કચ્છી સાહિત્ય અને કચ્છી સહિત્યકારો બંને ડિજિટલી અપગ્રેડ થઈ વૈશ્વિક સ્તરે પ્રદર્શન કરવા જઇ રહ્યા છે તે સરાહનીય છે.” તો ડૉ. પૂજા એ ઉમેર્યું કે“આ ફેસ્ટીવલ અંતર્ગત કચ્છીયતને આવરી લેતા ઘણાં પુસ્તકો સંકલિત કરીને કૃપ પબ્લિશિંગ દ્વારા વૈશ્વિક સ્તરે પ્રકાશિત કરવામાં આવશે.” શ્રી મદનકુમાર એ ઉમેર્યું કે ‘આ સાહિત્ય સંગીત પર્વ એ સર્વ માટે છે જેમાં સૌ કોઈ જોડાઈ પોતાનું કચ્છી મિજાજ સાર્થક કરે એ જ ભાવના છે.” સંસ્થાના ટ્રસ્ટીશ્રી ડૉ. શશીકાંત ઠક્કર કહ્યું કે ‘કૃપ લીટરેચર ફેસ્ટીવલ’ તેમજ ‘કૃપ મ્યુઝિક ફેસ્ટીવલ’ અંતર્ગત થનારું આ પ્રથમ ચરણ છે. એવા જ અન્ય ભાષાઓના સાહિત્ય પર્વોનું આયોજન પણ આગામી સમયમાં કરવામાં આવશે.” આ પર્વના દ્રષ્ટા શ્રીમતી નયનાબેન ઠક્કર એ જણાવ્યું કે “કચ્છી સાહિત્ય અને સંગીત પર્વમાં માતૃભાષા અને માતૃભૂમિ માટે કાર્ય કરતાં સૌ પોતાના માતા-પિતાના નામ સાથે જોડાઈ આ પહેલને વધુ મૂલ્યવાન બનાવશે.”

  • નવરાત્રી પર્વ નિમિતે કચ્છી કલાકારો દ્વારા અંબે માં આરતીની ભવ્ય રજૂઆત

    નવરાત્રી પર્વ નિમિતે કચ્છી કલાકારો દ્વારા અંબે માં આરતીની ભવ્ય રજૂઆત

    પર્વ ફ્યૂઝન બેન્ડનો આ ગીત વિશ્વભરમાં બસ્સો થી પણ વધુ પ્લેટફોર્મ પર થયું લોન્ચ

    ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક દ્વારા નવરાત્રી ઉત્સવ નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો પર્વ ઠક્કર, વાચા ઠક્કર અને ડૉ. કૃપેશના ‘જય આદ્યાશક્તિ’ અંબે માં આરતીનું અંજારના ગિવ વાચા સેન્ટર ખાતે આમંત્રિત કુમારીકાઓને હસ્તે લોકાર્પણ થયું.

    આ આરતીને કૃપ મ્યુઝિક દ્રારા વિશ્વભરમાં બસ્સો થી પણ વધુ પ્લેટફોર્મ પર લોંચ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે ઘણાં કલાકારો દ્વારા આ આરતી ગાવામાં આવી છે પણ છ વર્ષીય અને અગિયાર વર્ષીય બાળ કલાકારોએ કંઠ આપ્યું હોય એવું પ્રથમવાર બન્યું, જે અન્ય કલાકારો માટે પ્રેરણારૂપ છે. આ કાર્યક્રમમાં બેન્ડના કલાકારો એ અન્ય બાળકો અને માતાઓ સાથે મળીને માતાની આરાધના કરતાં આરતીની રજૂઆત કરી અને ત્યાર બાદ ગરબે રમ્યા.

    આ પ્રસંગે ગીતકાર અને સંગીતકાર ડો. કૃપેશ એ કહ્યું કે “નવરાત્રી પર્વના પાવન તહેવારમાં સાક્ષાત દેવી સ્વરૂપ કુમારીકાઓના આશીર્વાદથી આરતી લોન્ચ થઈ એ અમારું સૌભાગ્ય છે. અમને એ જાહેર કરતાં આનંદ થાય છે કે સનાતન ધર્મ અને સંસ્કારો માટે કલા ક્ષેત્રે સતત કાર્યરત રહેતું અમારું આ બેન્ડ કૃપ મ્યુઝિક સાથે પોતાના ૫૦ ગીતો સુધીનું સફર કરી ચૂક્યું છે. જેમાં આ બંને બાળકો એ ભક્તિ ગીતો, પારિવારિક ગીતો અને દેશભક્તિ ગીતોને સથવારે સંસ્કૃતિ અને સંસ્કારોની સેવા કરી છે અને આગળ પણ કરતાં રહેશે.” અત્રે ઉલ્લેખનીય છે કે આ કલાકારો ફક્ત સંગીત જ નહીં પરંતુ સાહિત્ય અને સમાજ સેવા ક્ષેત્રે પણ સક્રિય રહી સનાતન ધર્મ આધારિત પુસ્તકો પ્રકાશિત કરી તેમજ ગૂંજે ગીતા, પર્વ કી પાઠશાલા જેવા કાર્યક્રમો દ્વારા ધર્મના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત છે.

  • છ વર્ષીય કચ્છી બાળકનાં દેશભક્તિનાં ગીતોનું લોકાર્પણ

    છ વર્ષીય કચ્છી બાળકનાં દેશભક્તિનાં ગીતોનું લોકાર્પણ

    ૭૬મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે અંજારના છ વર્ષીય પર્વ ઠક્કરના દેશભક્તિ ગીતોના આલ્બમ લવ યુ ભારતનું ગાંધીનગર ખાતે ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને હસ્તે લોકાર્પણ થયું.

    આઝાદીના આ ઉત્સવને સંગીત સાથે ઊજવતાં આ આલ્બમમાં બાળગાયક અને અભિનેતા પર્વ ઠક્કરના સાત ગીતોનો સમાવેશ થાય છે. જેમાં જન ગણ મન, ઐ વતન, વંદે માતરમ, હૈ નમન, શહીદો કો સલામ તેમજ જન ગણ મન નૉટેશનમાં તેની ઉત્તમ ગાયકી અને અદાકારી જોવા મળે છે. આ આલ્બમ ગીતકાર, સંગીતકાર અને ગાયક ડો. કૃપેશ ઠક્કરના નેતૃત્વ હેઠળ તૈયાર થયું છે જેમાં દસ વર્ષીય વાચા ઠક્કરએ પણ કંઠ આપ્યો છે. આ બંને કલાકારોએ રાષ્ટ્રગીતને સૂરોમાં લયબદ્ધ રીતે ગાઈ નૉટેશન સ્વરૂપે રજૂ કરી વિક્રમ સર્જ્યો છે. પર્વ ફ્યૂઝન બેન્ડના આ ગીતો વૈશ્વિક સ્તરે બસ્સોથી પણ વધુ પ્લેટફોર્મ પર કૃપ મ્યુઝિક દ્વારા વિનામૂલ્યે રજૂ કરવામાં આવ્યા હતા.

    છેલ્લા ચાર વર્ષોથી સતત પ્રગતિ કરતો આ બાળકલાકાર જ્યારે મંત્રીની મુલાકાતે પહોંચ્યો ત્યારે તેની સફળ કારકિર્દી અને કલા થકી ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ અભિયાનમાં તેના યોગદાન માટે હર્ષભાઈએ ખૂબ સરાહના કરી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. ગીતના વિડીયો વિશે વાત કરતાં દિગ્દર્શક ડો. કૃપેશએ જણાવ્યું કે આ દેશભક્તિ ગીતોનું ફિલ્માંકન કચ્છના વિવિધ નયનરમ્ય સ્થળો એ કરવામાં આવ્યું છે, આ ગીતો થકી આવનારી પેઢીમાં દેશભક્તિના સંસ્કારોનું સિંચન થાય એ જ અમારો ઉદેશ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પર્વ ઠક્કર પોતાના બેન્ડ સાથે આ દેશભક્તિ ગીતો લઈને આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે વિવિધ શહેરોમાં ગિવ વાચા ફાઉન્ડેશન અંતર્ગત કાર્યક્રમોમાં નિઃશુલ્ક પર્ફૉર્મ કરે છે.

  • કચ્છી કલાકાર પર્વ ઠક્કરનાં આલ્બમનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિમોચન

    કચ્છી કલાકાર પર્વ ઠક્કરનાં આલ્બમનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિમોચન

    ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના જનજાગૃતિના વૈશ્વિક પ્રોજેક્ટ અંતર્ગત બાળ કલાકાર પર્વ ઠક્કરનાં ધ ક્લબફુટ વોરિયર આલ્બમનું ગુજરાતનાં હેલ્થ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલને હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    ક્લબફુટ વોરિયર તરીકે પ્રોજેક્ટનાં વૈશ્વિક એમ્બેસેડર

    છેલ્લાં છ વર્ષથી ગ્લોબલ ક્લબટ અવેરનેસ પર્વ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોમાં જોવા મળતી ક્લબફુટ નામની બીમારી અંગે જાગૃકતા ફ્લાવવા પ્રયાસો કરી રહી છે. ક્લબફુટ વોરિયર પર્વ આ પ્રોજેક્ટનાં વૈશ્વિક એમ્બેસેડર તરીકે પોતાની કલા થકી યોગદાન આપી રહ્યો છે. હાલમાં જે ગીતા કાર્યક્રમ સાથે ગુજરાત યાત્રા પર નીકળેલા પર્વ ફ્યુઝન બેન્ડના આ કલાકારો પર્વ ઠક્કર તથા ડો. કૃપેશની ગાંધીનગર ખાતે ઋષિકેશભાઈ સાથે મુલાકાત થઈ હતી અને તેમના હસ્તે સાત ભક્તિ ગીતોના આલ્બમનું વિમોચન થયું હતું. હેલ્થ મિનિસ્ટરે પર્વને પ્રશસ્તિ પત્ર આપી અભિયાનને પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે પિતા ડૉ. કૃપેશે કહ્યુ કે જન્મથી જ પર્વને મ્યુઝિક થેરાપીની સારવાર આપવામાં આવી છે. જેના પરિણામે તે દ્રઢ આત્મવિશ્વાસ સાથે ક્લબફુટ વોરિયર તરીકે ઉભરી આવ્યો છે.

    આ ઉપરાંત તે સૌથી નાની ઉંમરનો સફ્ળ ગાયક પણ બન્યો છે. તેના ગીતો થકી અન્ય અસરગ્રસ્ત બાળકોને પણ જીવનમાં કંઇક કરવાન પ્રેરણા મળે તે જ ઉદ્દેશ્ય છે. સંસ્થાના ટ્રસ્ટી નયનાબેને ઉમેર્યું કે ક્લબફુટ બીમારીના નામને આવરી લેતા આ આલ્બમનું વિમોચન જનજાગૃતિન ઉદ્દેશ્યને સાર્થક કરવામાં મદદરૂપ થશે.

  • રામનવમી નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ગીતનું થયું લોકાર્પણ

    રામનવમી નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ગીતનું થયું લોકાર્પણ

    હાલમાં જ રામનવમીના રોજ અંજાર સ્થિત ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) કચ્છના સંયુક્ત ઉપક્રમે ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ગીત તૈયાર થયું. જેનું લોકાર્પણ સંસ્કૃત ભારતીના કાર્યક્રમમાં ભુજ ખાતે કરવામાં આવ્યું. આ રામભક્તિ ગીતમાં વિશ્વના યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ ઠક્કર, ધ નોટેશન ગર્લ વાચા ઠક્કર તથા ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશ ઠક્કર તથા સુર ગુજરાત કે સિઝન ૨ અમેરિકાની વિજેતા રીતિ એ પોતાની કલાનું યોગદાન આપ્યું.

    સંસ્કૃત ભારતી સંસ્થા દ્વારા ભુજ ખાતે યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં આ કલાકારોના પર્વ ફ્યુઝન બેન્ડને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય સંગઠન મંત્રી શ્રી દિનેશ કામત, રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ કચ્છ વિભાગના માન. નવિનભાઇ વ્યાસ, સંસ્કૃત ભારતીના ન્યાસી. ડૉ. પંકજ શાહ, સામાજિક કાર્યકર્તા દિલીપભાઈ દેશમુખ, ફ્રેન્ડસ ગ્રુપના રાહુલભાઇ ગોર અને કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડો. પૂજા ઠક્કર તથા પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારોના વરદ હસ્તે આ ભક્તિગીતનું વિમોચન કરવામાં આવ્યું; વિમોચનના આયોજનમાં અમિતભાઈ ગોર એ સહયોગ આપ્યો. લોકાર્પણ બાદ ભક્તિગીતનો વિડીયો પ્રદર્શિત કરવામાં આવ્યો, જેને ઉપસ્થિત દર્શકોએ વધાવી લીધું. આ ગીતના વીડિઓમાં અંજાર રઘુનાથજી મંદિર, અંજારની પ્રખ્યાત ભવ્ય રથયાત્રા તથા સ્વામિનારાયણ તળાવના નયનરમ્ય દ્રશ્યોને દિગ્દર્શક ડૉ. કૃપેશ એ સુંદર રીતે કેમેરામાં કંડાર્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની નામાંકીત મ્યુઝીક રેકોર્ડ લેબલ કૃપ મ્યુઝિક દ્વારા આ ગીતને નિશુલ્ક તેમની યુટ્યુબ ચેનલ તથા વિશ્વભરના ૨૦૦ જેટલા મ્યુઝીક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવાની જોગવાઈ કરવામાં આવી છે તથા કૃપ ફિલ્મ્સની સમગ્ર ટીમએ આ વિડિયોનું શુટિંગ વિનામૂલ્યે કરી યોગદાન આપ્યું છે. બાળ કલાકારો પર્વ અને વાચા વિષે વાત કરતા સંગીતકાર ડૉ. કૃપેશ એ જણાવ્યું કે આવનારી પેઢીને ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય વારસા સાથે અવગત કરાવવા આ બાળકો સતત આવા ભક્તિગીતો રજુ કરી અન્ય બાળકો અને યુવાનોને પ્રેરણા આપી રહ્યા છે જે આજના સમયની માંગ છે. રામ નવમી સાથેની યાદોને વાગોળતા તેમણે વધુમાં ઉમેર્યું કે ૨૦૧૯ રામ નવમીના તેમના ગીત “મંગલ ભવન અમંગલ હારી” અને “રામ ધૂન” માં ફક્ત એક વર્ષની વયે બાળ ગાયક અને અદાકાર તરીકે પદાર્પણ કરીને જ પર્વ ઠક્કર યંગેસ્ટ સીંગર અને એક્ટર ઇન વર્લ્ડ બન્યો છે.

    આ પ્રસંગે સંસ્થના ટ્રસ્ટી શ્રી નયનાબેન ઠક્કરે ઉમેર્યું કે ગિવ વાચા ટ્રસ્ટ દ્વારા વિવિધ તહેવારોને સંગીતના સથવારે ઉજવવાની પરંપરાને આગળ વધારતા આ ભક્તિગીતમાં પણ સનાતન રામ ધૂન મંત્ર અને રાગબદ્ધ ભારતીય સંગીતને પાશ્ચાત્ય સંગીત સાથે ફ્યુઝન કરી લોકભોગ્ય બનાવવાનો પ્રયાસ કરેવામાં આવ્યો છે. આ સાથે જ કચ્છને વિશ્વસ્તરે અગ્રીમ લાવવા ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબના ઉદેશ્ય મુજબ કચ્છના વિવિધ દર્શનીય સ્થળોને મ્યુઝીક વિડીયોમાં લેવામાં આવે છે. અગાઉ પણ આ બેન્ડ દ્વારા રચિત ‘રામ રાખે તેમ રહીએ’ ગીતમાં વાંઢાય ના રામ મંદિર ને, ‘મંગલ ભવન અમંગલહારી’ ગીતમાં મકલેશ્વર મંદિરને કેમેરામાં કંડારવામાં આવ્યા હતા. કચ્છના કલાકારોને વિશ્વ ફલક પર લઇ જવા ના ઉદેશ્ય સાથે તેમણે ઉમેર્યું કે આવનારા સમયમાં કચ્છના વિવિધ ધાર્મિક સ્થળોને અધ્યતન ટેકનોલોજીના ઉપકરણોથી ફિલ્માંન્કિત કરી ભક્તીગીતોના સથવારે વિશ્વભરમાં પહોંચાડવા માટે જી.એલ.સી.સી. અને ગિવ વાચા કચ્છના અન્ય કલાકરોને પણ આમંત્રિત કરે છે. ડૉ. પુજાબેન ઠક્કરે વધુમાં ઉમેર્યું કે ટ્રસ્ટના આ કાર્યને સહયોગ આપી માતૃભૂમિનું ઋણ ચુકવવા માટે કૃપ ગ્રુપ ઓફ કંપનીઝ સદા તત્પર રહેશે.

  • ડોક્ટર ડે વિશેષ: કચ્છના તબીબ લોકસેવાની સાથે મ્યુઝિક કંપની ચલાવી જાણે છે

    ડોક્ટર ડે વિશેષ: કચ્છના તબીબ લોકસેવાની સાથે મ્યુઝિક કંપની ચલાવી જાણે છે

    • થઇ જશે, ઓક્સિજન, લવની ભવાઈ, કમિન્ટમેન્ટ જેવી ફિલ્મોનું મ્યુઝિક લોન્ચ કર્યુ
    • એકેડેમી દ્વારા ઉભરતા ગાયક કલકારોને આગળ લાવવા માર્ગદર્શન અને મદદ કરાય છે
    • ડો. કૃપેશ ઠક્કર પોતે ગાયક, ગીતકાર અને સંગીતકાર છે, તેમના 100 ગીત લોન્ચ થયા છે

    આજે 1લી જુલાઇના રોજ વિશ્વ ડોક્ટર ડેની ઉજવણી સમગ્ર દુનિયામાં વિવિધ રીતે કરવામાં આવી રહી છે. ત્યારે વાત કરીએ એક એવા ડોક્ટરની કે જેમણે કચ્છમાં રહી સંગીતને વિશ્વ ફલક પર પહોંચાડવાનું કાર્ય કર્યું છે. અંજારના ડો. કૃપેશ ઠક્કરની કૃપ મ્યુઝિક કંપની દ્વારા છેલ્લા સાત વર્ષ દરમિયાન 17 ગુજરાતી અને એક હિન્દી ફિલ્મનો મ્યુઝિક આલ્બમ તૈયાર કરવામાં આવ્યો છે. એટલું જ નહિ ડોક્ટર ઠક્કરે સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે પણ સહયોગ સ્થાપી ભાવિ ગાયક અને વાદકને આગળ લાવવા પ્રયાસો કર્યા છે. સાથે-સાથે તેઓ સામાજિક સેવાકાર્યો પણ કરી રહ્યા છે. તો જાણીતો સૂર ગુજરાત કે જેવો મ્યુઝિક શો પણ ચલાવી રહ્યા છે.

    અંજારમાં ક્લિનિક ચલાવે છે સંગીતકાર ડોક્ટર

    અંજાર શહેરના બસ સ્ટેશન પાસે આવેલા વર્ધમાન નગર ખાતે ડો. કૃપેશ ઠક્કરના નામે ક્લિનિક ધરાવતા તબીબ દ્વારા સંગીત ક્ષેતે કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ વિશે પૂછતાં ઉત્સાહથી ભરપૂર ડોકટર ઠક્કરે કહ્યું કે મારી સમજ શક્તિની સાથે જ સંગીત પ્રેમ મને આ ક્ષેત્રમાં સફળતા તરફ દોરી રહ્યો છે.

    કેવી રીતે ડોક્ટરની સાથે સંગીતજ્ઞ બન્યા?

    વિગતે જણાવતા તેમણે કહ્યું હતું કે જામનગરથી MBBS પાસ કર્યા બાદ બે વર્ષ અમેરિકા ગયો, જ્યાં હોસ્પિટલ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરી અને ખાનગી કંપનીમાં જોબ શરૂ કરી હતી. આ દરમિયાન વર્ષ 2013માં ગ્રીન કાર્ડ મળી રહ્યું હતું. પરંતુ સંગીત પ્રત્યેનો પ્રેમ અને પરિવાર માટે દેશ પરત ફરી આવ્યો. અહીં આવ્યા બાદ ક્લિનિક શરૂ કરવાની સાથે મારું મ્યુઝિક આલ્બમ લોન્ચ કરવા હું મુંબઈ ગયો, જ્યાં દેશની નામાંકિત ટી-સિરિઝ જેવી કંપનીમાં ગયો, જ્યાં મારા મ્યુઝિક આલ્બમનું લોન્ચિંગ થયું. પરંતુ આ માટે સારી એવી રકમ ચૂકવવી પડી હતી.

    મ્યુઝિક કંપનીની સ્થાપના કેવી રીતે થઈ?

    દરમિયાન તબીબી પ્રેક્ટિસ સાથે સંગીત ક્ષેત્રે પણ કંઈક પ્રગતિ કરવાના ઇરાદે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી સંપર્કમાં રહ્યો. ત્યારબાદ મારા કૃષ્ણ ભક્તિ પર આધારિત મ્યુઝિક આલ્બમના લોન્ચ માટે ગુજરાતમાં મ્યુઝિક કંપની વિશે શોધ કરી. પરંતુ આવી કોઈ જ કંપની અહીં અસ્તિત્વમાં નહોતી, તેથી મેં મારું આલ્બમ રિલીઝ કરવા નવી મ્યુઝિક કંપની બનાવી અને વર્ષ 2015ની 14 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે જાહેર ઇવેન્ટ મારફતે પ્રથમ આલ્બમ રિલીઝ કર્યું. તેનો ફાયદો એ રહ્યો કે હવે મારે ગુજરાત બહાર જવાની જરૂર નહોતી અને જે નવા ગાયક કલાકારો હતા. તેમજ પોતાના ગીતને મ્યુઝિક સ્ટ્રીમિંગ પર લોન્ચ નહોતા કરી શકતા એવા કલાકરોના ગીત પણ કંપની દ્વારા લૉન્ચ કરવાની શરૂઆત કરી.

    કંપની દ્વારા પ્રથમ ગુજરાતી ફિલ્મનું મ્યુઝિક લોન્ચ કર્યા બાદ હિટ નીવડ્યું

    કંપની શરૂ થયાના એક જ વર્ષમાં 2016માં મને ગુજરાતી ફિલ્મ “થઈ જશે”ના મ્યુઝિક લોન્ચ કરવાનો મોકો મળ્યો અને તેને માર્કેટમાં મૂક્યું હતું. તેમાં એ ફિલ્મના બે ગીત સુપરહિટ નીવડ્યા. તેના બાદ અત્યાર સુધી 17 ગુજરાતી ફિલ્મના મ્યુઝિક મારી કંપનીએ લોન્ચ કર્યા છે. જેમાં મુખત્વે ઓક્સિજન, લવની ભવાઈ, કમિન્ટમેન્ટ સહિતની ફિલ્મનો સમાવેશ થાય છે.

    મ્યુઝિક લોન્ચ ક્યાં અને કેવી રીતે થાય છે?

    પ્રત્યુત્તર ડોકટર ઠક્કરે કહ્યું કે એના માટે મ્યુઝિક સ્ટ્રીમિંગ ઇન્ડસ્ટ્રીઝ ઉપલબ્ધ છે. જેમકે હંગામા મ્યુઝિક, જિયો સાવન, ગાના ડોટ કોમ અને વિદેશી કંપની પણ ખરી જેમાં હવે અનેક દેશમાં પણ પ્રવેશી ચુકી છે. તેમાં એમેઝોન, એપલ અને સ્પોટીફાઈ જેવા મ્યુઝિક પ્લેટફોર્મ પર આલ્બમ કે સોંગ રિલીઝ કરવામાં આવે છે. આ સાથે સોશિયલ મીડિયા પર પણ તેને મુકવામાં આવે છે. તેમાં મારી યુ-ટ્યુબ ચેનલ પર 1.90 લાખ સબસ્ક્રાઇબર છે, ત્યાં સોંગ મુકવાનો હું કોઈજ ચાર્જ લેતો નથી. આ માટે કલાકારને સોશિયલ મીડિયા પર ક્યાં અને કેટલા રૂપિયા ખર્ચ કરવા તેની સલાહ પણ મારી કંપની આપે છે.

    સંગીત અને ડોક્ટરી જ નહીં અન્ય સેવાઓમાં પણ પ્રવૃત્ત

    કૃપ મ્યુઝિક કંપનીના સંચાલન સાથે ગિવ વાચા ફાઉન્ડેશનનું પણ સહયોગી મિત્રો સાથે સંચાલન કરવામાં આવે છે. નોન ડોનેશન સંસ્થા અંતર્ગત મ્યુઝિક એકેડેમી ચાલે છે. જેમાં વિશ્વમાં વસતા ગુજરાતી સંગીતપ્રેમીઓને ગાયન અને વાદનની તાલીમ આપવામાં આવે છે. સાથે સ્ટેજ પરફોર્મન્સનું શિક્ષણ પણ આપવામાં આવે છે. આ માટે તબીબ જાતે જ પ્રશિક્ષણ આપે છે અને સાથી સંગીત શિક્ષક પણ સહયોગ આપે છે.

    સૂર ગુજરાત કે નામનો શો પણ ચલાવે છે

    આ સિવાય તેઓ સૂર ગુજરાત કે નામનો શો પણ ચલાવે છે. તેમાં બે વિભાગમાં વિજેતા જાહેર કરવામાં આવે છે. 3 સગીર વયના અને 3 વયસ્ક કુલ 6 વિજેતા ઉમેદવારને પ્રમાણ પત્ર સાથે કૃપ મ્યુઝિક સાથે મ્યુઝિક આલ્બમમાં મોકો અપાય છે. 2015ની વિજેતા મુન્દ્રાની આર્ચી મિસ્ત્રીને કમિન્ટમેન્ટ ગુજરાતી ફિલ્મમાં ગાવાનો મોકો આપ્યો હતો. ત્યારબાદ 2016માં અમદાવાદ ખાતે આયોજિત નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં આર્ચીએ ઇનોગ્રેશન વખતે રાષ્ટ્રગીત રજૂ કર્યું હતું. આ વેળાએ દેશના અભિષેક બચ્ચન સહિતના દિગગજો હાજર રહ્યા હતા. હવે ગુજરાતી ચેનલ સાથે રહીને ટૂંક સમયમાં સૂર ગુજરાત કે શો શરૂ કરવામાં આવશે. તેની સાથે હેલ્થ કેમ્પ જેવી સોશિયલ એક્ટિવિટી સાથે પણ ડોક્ટર જોડાયેલા છે.

  • ગુજરાતની ગાયિકા વાચા ઠક્કરએ મેળવ્યું બોલીવુડના ૨૦ સુપરહિટ સોંગ લીસ્ટમાં પ્રથમ સ્થાન

    ગુજરાતની ગાયિકા વાચા ઠક્કરએ મેળવ્યું બોલીવુડના ૨૦ સુપરહિટ સોંગ લીસ્ટમાં પ્રથમ સ્થાન

    કચ્છ અને ગુજરાતનું ગૌરવ એવી યંગ સિંગર દસ વર્ષીય વાચા ઠક્કર એ જીઓસાવન ના Bollywood Decade 2010s માં છેલ્લા દાયકાના ૨૦ સુપરહિટ સોંગ ની લીસ્ટ માં મેળવ્યું છે પ્રથમ સ્થાન.

    હાલમાં જ JioSaavn દ્વારા 20 સુપરહિટ સોંગ ની લીસ્ટ જાહેર થઈ જેમાં છેલ્લા દસ વર્ષ દરમિયાન સૌથી વધુ લોકપ્રિય બની રહેલા હિન્દી ગીતો જાહેર કરવામાં આવ્યા. આ લીસ્ટમાં વાચા ઠક્કર ના ‘જન ગન મન’ ગીતએ ‘દેશ મેરા રંગીલા’, ‘પલ પલ દિલ કે પાસ’, ‘નમો નમો’, ‘કાલા ચશ્માં’ અને ‘કેસરી’ જેવા ગીતોને પાછળ મુકતા પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ગીતને યુટ્યુબ પર બે કરોડ થી પણ વધારે વ્યુઝ મળ્યા અને JioSaavn પર દસ લાખથી પણ વધુ લોકોએ સાંભળ્યું છે.

    આ શ્રેણીમાં બોલિવૂડના જાણીતા કલાકારો અરિજીત સિંઘ, અમિત ત્રિવેદી, બાદશાહ, પ્રીતમ, તુલસી કુમાર, નેહા કક્કર, વિશાલ શેખર અને સચિન જીગર જેવા નામી કલાકારો સાથે વાચા ઠક્કરને સ્થાન મળ્યું જે કચ્છ અને ગુજરાત માટે ગૌરવની વાત છે. આ ગીત ગુજરાતની જાણીતી રેકોર્ડ લેબલ કંપની કૃપ મ્યુઝીક દ્વારા લોન્ચ કરાયું અને વિશ્વભરમાં ૨૦૦ જેટલા મ્યુઝીક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર મુકવામાં આવ્યું છે.

    અત્રે નોંધનીય છે કે વાચાનાં આ ગીતનું શુટિંગ અંજારના બગીચામાં થયેલું છે. વાચાએ માત્ર અઢી વર્ષની વયથી ગાવાનું શરૂ કર્યું અને આજ સુધી એણે 50 થી પણ વધુ ઓરીજીનલ સોંગ ગાયા છે. ગીત અને સંગીતની સાથે તે એક્ટિંગ પણ કરે છે. પોતાની પ્રથમ બુક પ્રકાશિત કરી સાહિત્ય ક્ષેત્રમાં પણ પદાર્પણ કર્યું. ફક્ત દસ વર્ષની ઉંમરે ધ નોટેશન ગર્લ તરીકે વાચા મ્યુઝીક કમ્પોઝ કરી ગીતકાર અને સંગીતકાર ડૉ. કૃપેશને સહયોગ આપી રહી છે.

    પર્વ ફ્યુઝન બેન્ડમાં લીડીંગ સીંગર તરીકેની ભૂમિકા બજાવી વિવિધ કાર્યક્રમોમાં વાચા પરફોર્મ પણ કરે છે અને ખાસ કરીને ‘ગુંજે ગીતા’ કાર્યક્રમ થકી ગીતાના અધ્યાયોને લોકો સુધી પહોચાડવાનું કામ કરે છે. આ કાર્યક્રમને વર્લ્ડ ટુર થકી વિશ્વભરમાં લઇ જવામાં પણ વાચા ઠક્કર પોતાનો પૂર્ણ સહયોગ આપી રહી છે.

    જીઓસાવન પર વાચાના ‘જન ગન મન’, ‘ગણેશ ગાયત્રી મંત્ર’, ‘લાડલી બેની’, ’હૈ નમન’, ‘મંગલભવન રામ ધૂન’, ‘મંગલમય સબ કર દેના’, ‘ગણેશ મંત્ર’, ‘ઓમ નમઃ શિવાય’ , ‘રામ ધૂન’, ‘તું છે ઓ મા’ અને ‘હનુમાન મંત્ર’ જેવા ગીતો પ્રચલિત હોતા હાલમાં જીઓસાવને તેને સ્પોટલાઈટ માં જાહેર કરી.

  • ‘યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે’ ના વિચાર સાથે વુમેન્સ પર્વ ૨૦૨૩ નું આદિપુર ખાતે ભવ્ય કાર્યક્રમ

    ‘યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે’ ના વિચાર સાથે વુમેન્સ પર્વ ૨૦૨૩ નું આદિપુર ખાતે ભવ્ય કાર્યક્રમ

    હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, અને કૃપ મ્યુઝિક જયારે ૧ થી ૮ માર્ચ સુધી ‘વુમન્સ પર્વ 23’ નું આયોજન કરી રહ્યું છે ત્યારે આદિપુર ખાતે તોલાની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના સહિયારા પ્રયાસથી ઇન્ટરનેશનલ વુમન્સ ડે નું સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યું. જેમાં ‘નારી હૈ નારાયણી’ પુસ્તકનું વિમોચન, ‘કૃપ ટોક્સ’, ‘બાતે અનકહી’ તથા ‘યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે’ ગીતના લોકાર્પણનું આયોજન કર્યું હતું. વુમન્સ પર્વ વિષે વાત કરતા ગિવ વાચાના ટ્રસ્ટી નયનાબેન ઠક્કરે જણાવ્યું કે ‘છેલ્લાં સાત વર્ષથી સંસ્થા દ્વારા ઉજવાતા આ ઉત્સવનો હેતુ ઇન્ટરનેશનલ વુમન્સ ડે ને ભારતીય સંસ્કૃતિના સંદેશ ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા’ સાથે ઉજવી આવનારી પેઢીને સનાતન ધર્મના ભવ્ય વારસા સાથે જોડી રાખવાનું છે.

    કાર્યક્રમની શરૂઆત ‘કૃપ ટોક્સ શો’ દ્વારા કરવામાં આવી. આ શો માં વિદ્યાર્થીઓ, શિક્ષકોએ અને કવિઓએ ‘નારી’ વિષય પર લખેલી કવિતાઓ પ્રસ્તુત કરી હતી. ઉભરતા રચનાકારોને મંચ આપવાના ઉદેશ્યથી ગિવ વાચા સંસ્થા અને કૃપ પબ્લિકેશન દ્વારા ‘નારી હૈ નારાયણી’ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું. જેમાં કચ્છ અને ગુજરાતની વિવિધ શાળા અને કોલેજના ૭૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકોએ ઉપરાંત જાણીતા સાહિત્યકારો પોતાની કવિતાઓ આપી છે.

    ‘બાતેં અનકહી’ માં જાણીતા ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશે ફિલ્મો અને આલ્બમમાં ગીત લખવાની બારીકીઓના સ્વાનુભવનો વિદ્યાર્થીઓ અને મેહમાનોને પરિચય કરાવ્યો તથા બેસ્ટ સેલર બુક ‘અર્જુન ઉવાચ’ ના લેખક તરીકે સાહિત્ય ક્ષેત્રે આગળ વધવા માર્ગદર્શન પણ આપ્યું હતું. આ સાથે જ ‘વુમન્સ પર્વ’ અને ‘નારી હૈ નારાયણી’ બુકના થીમ સોંગ ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે’ પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. જે ઉપસ્થિત મહેમાનોએ વધાવી લીધું હતું.

    અંતે ‘નારી હૈ નારાયણી’ પુસ્તક અને ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે’ ગીતનું લોન્ચિંગ અતિથી વિશેષ સાહિત્યકાર ડૉ. રમેશ ભટ્ટ ‘રશ્મિ’, કૃપ મ્યુઝિકના ચેર પર્સન ડૉ. પૂજા ઠક્કર, તોલાની ઇન્સ્ટીટ્યુટના પ્રિન્સીપાલ ડૉ. સુશીલ ધર્માની, કવિયત્રી પદ્માબેન મોટવાની, ગાયિકા અને લેખિકા ધ નોટેશન ગર્લ વાચા ઠક્કર, યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ ઠક્કર તથા ડૉ. કૃપેશ ઠક્કરના શુભહસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે કૃપ મ્યુઝિક કંપની દ્વારા વિદ્યાર્થીનીઓ માટે સ્વરોજગાર અને આત્મનિર્ભર બનવાની તક આપતાં ‘કૃપ પાર્ટનર પ્રોગ્રામ’ ની જાહેરાત પણ કરવામાં આવી.

    આ કાર્યક્રમના આયોજનમાં કોલેજના રીડર્સ એન્ડ રાઈટર્સ ક્લબના આગેવાનો સુશ્રી વિમ્મી સદારંગાની, શ્રી સંદીપભાઈ જાની તથા પ્રોફેસર ડૉ. પ્રતીક અંબસાના તેમજ અંજલી સેવક અને કલરવ રાઠોડે જહેમત ઉઠાવી. અત્રે નોંધનીય છે કે સાહિત્યક્ષેત્રે પ્રથમવાર શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને પોતાની કવિતા પ્રકાશિત કરવાની તક મળી છે.